Sunday, 4 March 2018

અલ્લાઉદ્દીન ખીલજીએ પદ્માવતિ કરતાં વધુ પટેલોને પરેશાન કર્યાં હતાં !


વીસનગરમાં ધૂળેટીની આગલી રાતના ભવાઇ વિશેના લેખ પછી વાંચક નરેશ સોનીની એક પોસ્ટે મને વધુ સંશોધન કરવા મજબુર કરી દીધો. વાસ્તવમાં ભવાઇનો જન્મ તો પટેલો પર થયેલા અલ્લાઉદ્દીન ખીલજીના અત્યાચારના કારણે થયો હતો. પટેલો પર અલ્લાઉદ્દીન ખીલજીના એટલા અત્યાચાર થયા હતાં કે, પદ્માવતિને ભૂલવા મજબુર થઇ જાવ, પણ ઇતિહાસનાં પાનાં પર એની કોઇ ગંભીર નોંધ પણ નથી.
વાસ્તવિકતા એવી છે કે, દિલ્હીની સલ્તનવ કબજે કર્યાં બાદ અલ્લાઉદ્દીન ખીલજીની સેના એક પછી એક રાજ્યો પર આક્રમણ કરતી હતી. એની સેના દિલ્હીથી કનોજ થઇ ગુજરાત આવી હતી. અને સિદ્ધપુર અને ઉંઝા વચ્ચે ડેરો નાંખીને બેઠી હતી.
લાલ લૂગડું જુએને આખલો ભૂરાયો થાય એ રીતે અલ્લાઉદ્દીન ખિલજી સ્વરૂપવાન સ્ત્રીને જોઇને ભૂરાયો થતો હતો. એના સરદારો પણ ખિલજીને ખુશ કરવા સુંદર સ્ત્રીઓનું અપહરણ કરીને જનાનખાનામાં પેશ કરતાં હતાં. ખિલજીને ખુશ કરવા માટે એનો સરદાર જહાંનોરોઝ કાયમ સુંદર સ્ત્રીઓનું અપહરણ કરતો અને ખિલજીને ખુશ કરતો હતો. કનોજથી આવ્યા ત્યારે ખિલજીની સેનાનો સરદાર જહાનરોઝ હતો. એણે સિદ્ધપુર અને ઉંઝા વચ્ચે ધામા નાંખ્યા ત્યારે  આજુબાજુના ગામમાં સુંદર સ્ત્રીઓની તપાસ કરી. જેથી એનું અપહરણ કરીને ખિલજી સામે પેશ કરીને ખુશ કરી શકાય.
ઉંઝા અને સિધ્ધપુર વચ્ચે રોકાયેલા જહાનરોઝને ખબર પડી કે, અહીની પટેલ સ્ત્રીઓ સુંદર છે એટલે એણે તપાસ કરાવી તો ગામના પટેલ હેમલા પટેલની દીકરી ગંગાની સુંદરતા વિશે ખૂબ જ વખાણ સાંભળ્યાં. કારણ કે, એવું કહેવાય છે કે હેમલા પટેલની દીકરી ગંગાના રૂપના વખાણ છેક બાર ગાઉ સુધી થતા હતાં. જહાનરોઝના કાને ગંગાના વખાણ આવતા જ તેણે ખિલજીને ખુશ કરવા સૈનિકો મોકલીને એણે હેમલા પટેલની દીકરી ગંગાનું અપહરણ કરાવ્યું.
હેમલા પટેલની આર્થિક સ્થિતિ નબળી હતી. પરંતુ એ સમયે એમણે બ્રાહ્મણોની મદદ લેવાનું નક્કી કર્યું. કથાકાર અને જાણીતા ગોર અસાઇત ઠાકર પાસે એમણે ધા નાંખી. અસાઇત ઠાકર ઔચિત્ય બ્રાહ્મણ હતાં અને એમનો રૂતબો પણ સારો હતો. પટેલની ધા સાંભળી અસાઇત ઠાકર સીધા ખિલજીના સરદાર જહાનરોઝ સુધી પહોંચી ગયા હતાં અને કહ્યું કે, અમારી દીકરીને છોડી દો. પરંતુ જહાનરોઝ શાતિર દીમાગનો હતો. એ જાણતો હતો કે જો બ્રાહ્મણનો બોલ ઉથામશે તો ગુજરાતમાં રહેવું ભારે પડશે અને બ્રાહ્મણને મુશ્કેલીમાં મૂકશે તો સ્વરૂપવાન ગંગાને લઇ જઇ ખિલજી સામે પેશ કરી શકાશે, અને સ્ત્રીઓનો શોખિન ખિલજી એને ઇનામ આપશે. એટલે જહાનરોઝે શરત મૂકી કે અસાઇત ઠાકર એમની સાથે જમે  તો પટેલની દીકરીને મુક્ત કરી દેશે. અસાઇત ઠાકર માટે પણ આ શરત આકરી હતી. જો એ પરધર્મી સાથે ભોજન લે તો એને નાત બહાર મૂકવામાં આવે અને જો ભોજન ન લે તો પટેલની દીકરી  અલ્લાઉદ્દીન ખીલજીના હવાલે કરવી પડે.
પટેલની દિકરીને બચાવવા અસાઇત ઠાકરે હ્રદય પર પત્થર મૂકીને ભોજન લીધું અને હેમલા પટેલની દીકરીને પરત લઇ આવ્યાં. હેમલા પટેલને એની દીકરી હેમખેમ પાછી સોંપી, પણ કરમની કઠણાઇ એ થઇ કે,, બ્રાહ્મણોએ એમને નાત બહાર કાઢ્યાં. ઘરબાર અને આવક છૂટી ગઇ.
અહીં ઇતિહાસકારોમાં બે મત છે. ઇતિહાસકાર મનસુખ ઠાકર કહે છે કે, અસાઇત ઠાકરને ગંગાના હાથનું ભોજન અપાયું હતું તો જાણીતા ઇતિહાસકાર એસ.જી ભટ્ટના મત મુજબ ખીલજીના સરદારોએ અસાઇત ઠાકર ને જમાડ્યા અને ધર્મ ભ્રષ્ટ થઇ ગયો હતો.
ખેર એ વિવાદમાં  આપણે નથી પડ્તાં. પરંતુ અસાઇત ઠાકરને નાત બહાર કર્યા એટલે પટેલોએ એમની જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું. આખાય વર્ષનું અનાજ આપવાનું નક્કી કર્યું. પરંતુ સ્વમાની અસાઇત ઠાકરને મફતમાં કશું લેવાનું મંજૂર ન હતું. એટલે એમણે પોતાના ત્રણ દિકરા સાથે મંડળી શરૂ  કરી. અસાઇત પહેલેથી જ કથાકાર હતાં. એટલે  એમણે સંગીત, નૃત્ય અને નાટકનો સમન્વય કરી ભવાઇનું સર્જન કર્યું અને ભવાઇ શરૂ કરી. એવું કહેવાય છે કે, માતાજીએ એમને ચૂંદડી, ચૂડી અને ભૂંગળ સાથે ફતેહ કરવાના આશીર્વાદ આપ્યા હતાં. એટલે એમણે 365 દિવસના 365 વેશ બનાવી ભવાઇની શરૂઆત કરી હતી.
જાણીતા ઇતિહાસવિદ અને પટેલ ગ્નાતિ પર વર્ષો સુધી સંશોધન કરનાર પ્રો. મંગળભાઇ પટેલનો દાવો છે કે, અસાઇત ઠાકરના આ અહેસાનનો બદલો પટેલો પેઢીઓ સુધી ચુકવવાનો પ્રયાસ કરે છે. એટલે આજે પણ  પટેલ ભવાઇ માટે કલાકારોને પોતાના ગામ બોલાવે છે અને તેમને મહેનતાણું આપે છે. પહેલાં અનાજ આપતા અને હવે પૈસા આપે છે.
પ્રો. મંગળભાઇ પટેલના કહેવા પ્રમાણે અસાઇત ઠાકર પહેલેથી જ સ્ત્રીઓના સન્માન માટે ભવાઇ દ્વારા સંદેશો આપતા હતાં. એમના દરેક વેશમાં સ્ત્રી સન્માનની વાત રહેતી. એટલું જ નહીં અલ્લાઉદ્દીન  ખીલજીના  અત્યાચારોનો પડઘો પણ એમના ભવાઇના વેશમાં દેખાતો હતો. વળી એમણે વૃધ્ધ સાથે યુવાન સ્ત્રીના લગ્નનો  વિરોધ પણ એમની ભવાઇ દ્વારા કર્યો હતો. એમણે એક પાત્ર એવું ભજવ્યું હતું કે, જેમાં યુવાન વાણિયાણના લગ્ન પૈસાદાર વૃદ્ધ સાથે થાય છે અને એ મુસ્લીમ સુબાના  પ્રેમમાં પડે છે. આ વેશ બહુ જ લોકપ્રિય થયો હતો. તો  એમના મિયાં બીબીના પાત્રમાં પણ મોગલ અત્યાચારનો વિરોધ દેખાય છે.
મંગુકાકા કહેતા કે, એ જમાનામાં મહીલાઓને સમાન અધિકાર, સ્ત્રીને સામાજિક દરજ્જો અને મહીલા પર અંધશ્રદ્ધાને  કારણે થતાં અત્યાચાર વિશે ભવાઇમાં વાત કરવામાં આવી છે. અલબત્ત સમય જતાં અસરકારક બનેલી ભવાઇનો ઉપયોગ આઝાદીના આંદોલનમાં થયો હતો અને નવનિર્માણ આંદોલન તથઆ મહાગુજરાતની ચળવળમાં થયો હતો. ભવાઇના પ્રયોગની સફળતા જોઇને જયપ્રકાશ નારાયણ (જે.પી) પણ વિસનગર આવ્યા ત્યારે અચંબિત થઇ ગયા હતાં.
ભવાઇના માધ્યમની અસરકારકતા જોઇને સરકારે પણ અંધશ્રધ્ધા દૂર કરવા, નસબંધીનો પ્રચાર કરવા, સામાજિક કુરિવાજો દૂર કરવા ભવાઇનો ઉપયોગ કર્યો હતો.
(પટેલોએ સાચવેલો ભવાઇનો વારસો આઝાદીથી માંડીને બીજા આંદોલનમાં કેવી રીતે કારગર નીવડ્યો એ અંગે વાંચો આવતી કાલે)

નોંધઃ અસાઇત ઠાકરની તસ્વીર કે રેખાચિત્ર ઉપલબ્ધ ન હોવાથી અહીં પ્રતિકાત્મક તસ્વીર મૂકી છે. 

21 comments:

  1. વાહ, ભાર્ગવભાઈ ખુબ સરસ સંશોદાન કરી આવ્યા છો.

    ReplyDelete
  2. Wah Bhargavbhai ! Greetings from Mahesh

    ReplyDelete
  3. What a research hat off

    ReplyDelete
  4. Very Interesting Bhargavbhai.
    આજના પીળા પત્રકારત્વના સમયમાં
    ગલી એ ગલીએ બિલાડીની ટોપની
    જેમ ફૂટી નીકળેલા પત્રકારોએ ખરેખર
    ચોથી જાગીર સામ પત્રકારત્વને બદનામ કરી રહ્યા છે ત્યારે આપના બ્લોગ દ્વારા પોઝિટિવ વાતો ખરેખર ખુબ જ માહિતી સભર હોય છે .

    ReplyDelete
  5. ખૂબ ખૂબ ખૂબ ગમ્યો આ લેખ ! આપણા ભવ્ય ભૂતકાળ માં સમાજ ની એકતા કેવી શૌર્યસભર હતી એનું તમે તમે તાદ્રુશ્ય વર્ણન કર્યું કાશ, સમાજ ને વિભાજિત કરનારાં આજના નવયુવાનો વાંચે અને સમજે ....

    ReplyDelete
  6. Very intresting and useful information.

    ReplyDelete
  7. વાહ... ધારદાર કલમની આ જ વિશેષતા છે કે તમને ફ્લેશબેકમાં જવા મજબૂર કરે છે, કે સાલું આ લોકો ઉપર કેટ-કેટલા અત્યાચાર થયા હશે અને કેવી પરિસ્થિતિમાં રહેતા હશે, એ આપના આ લેખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે....

    ReplyDelete
  8. વાહ ભાઈ વાહ.ખૂબજ સરસ સંશોધન છે.

    ReplyDelete
  9. Very informative thanks for sharing

    ReplyDelete
  10. ખુબજ સરસ
    રસપ્રદ અને દિલચસ્પ...

    ReplyDelete
  11. Very nice n interesting..

    ReplyDelete
  12. Very nice and really super information sir...

    ReplyDelete
  13. Hats off for the research of our history.looking forward to learn more of such stuff.,Bhargav.

    ReplyDelete
  14. Hats off for the research of our history.looking forward to learn more of such stuff.,Bhargav.

    ReplyDelete